અધિકારીઓના ચેકિંગ વખતે જ પાણી પહોચતું હોવાનો દાવો,
પાણીની ગંભીર કટોકટી હોવાથી ખેતી હરિભરી નહિ પણ સૂકીભટ, અધિકારીઓ સરપ્રાઇઝ ચેકીંગ કરે તો હકીકત સામે આવે
મોરબી જિલ્લાના છેવાડે આવેલા માળિયા તાલુકો હજુ પણ બાબા આદમ યુગમાં જીવતો હોય એમ માળિયા તાલુકાનો માત્ર વોટ બેન્ક માટે ઉપયોગ કરાતો હોય અને કોમના આધારે મતોનું ધ્રુવીકરણ કરીને મુખ્ય સુવિધાથી લોકોને દૂર રાખવામાં આવે છે. આવા જ એક ગામ એટલે માળિયા તાલુકાનું ખીરસરા ગામની મોટી કઠણાઈ છે કે, ગામના યુવાનો શિક્ષિત થયા અને બડે બુઝુર્ગ ભલે આર્થિક રીતે સમૃદ્ધ ન થાય હોય. પણ રાજનીતિની ગહેરી ચાલ તો બરોબર સમજી જ ગયા હોય એટલે આટલા બધા વર્ષોથી એક એક સુવિધા માટે તરસતા લોકોને હથેળીમાં ચાંદ બતાવવાનો નેતાઓના દંભ અને ભ્રમ પણ ભાગી પડ્યો છે.
માળિયા તાલુકાનું ખીસસરા ગામના સરપંચ કહે છે કે, આ ગામ 500 થી વધુ વર્ષો પુરાણું ગામ હોય અંદાજે ગામમાં 700-800 જેટલી વસ્તીમાં યુવાનોને બાદ કરતાં મોટાભાગના લોકો ખેતી પર નભે છે. લિવના પાણી અને ખેતી માટે સિંચાઈના પાણીની કેવીક સુવિધા તે અંગે પૂછતાં જ જાણે દુખતી રંગ ઉપર પગ મૂકી દીધો હોય એમ સરપંચએ ઊંડો નિસાસો નાખ્યો, જૂની જે 50 વર્ષ પહેલાં પાણીની પાઇપલાઇન નાખી હોય એની અંદર કચરો જામી ગયો કે શેવાળ જામી ગયો હોવાથી ગામને પૂરતું પાણી જ મળતું નથી. પીપળીયા ચોકડીએ નર્મદાના સંપમાંથી આ ગામને પણી વિતરણ કરવામાં આવતું હોય પણ વચ્ચેથી કોઈને કોઈ પાણી બધું જ ઢસડી જતું હોવાથી અમારું ગામ આખું તરસ્યું રહે છે અને પાણી માટે મહિલાઓને બેડા લઈને દૂર દૂર સુધી ભટકવું લડે છે . હવે ઉનાળો આવશે એટલે જળ કટોકટી એટલી ઘેરી બનશે કે રોજની પાણીની હૈયાહોળીથી સુધ બુધ ગુમાવી બેઠા છીએ. જ્યારે પાણી ન મળતું હોય એવી રજુઆત કરીએ ત્યારે પાણી પુરવઠાના અધિકારીઓ ગામમાં આવીને ચેકિંગ કરે તે પહેલા પીપળીયા ચોકડીથી પાણી છોડી દેવાય છે. એટલે અમે ખોટા ઠરીએ છીએ.

