મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં લોકોના પ્રશ્નોના સ્થળ પર સાંભળી તેના નિકાલ માટે ના પગલા લઈ શકાય તે માટે લોક દરબાર યોજવામાં આવી રહ્યાછે ત્યારે શુક્રવારના રોજ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા વાંકાનેર શહેરમાં વેપારીઓ અને સામાજિક તથા રાજકીય આગેવાનો સાથે લોક દરબાર કર્યો હતો, જેમાં પોલીસ વડાએ તમામ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ લોક દરબારમાં મોટાભાગના લોકો દ્વારા વાંકાનેર શહેરની માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા બાબતે જ રજૂઆતો કરવામાં આવી હતી આ સાથે અન્ય રજૂઆતો પણ સાંભળી અને શક્ય તમામના નિરાકરણની ખાત્રી જિલ્લા પોલીસ વડાએ આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર આડેધડ પાર્કિંગને કારણે ઊભી થતી સમસ્યા નિવારવા તેમજ નર્સરી પાસેથી લુણસર તરફ જવા તથા આવવા માટે વાહન ચાલકો શોર્ટ કટ અપનાવવાથી અવાર નવાર ટ્રાફિક જામ થઈ જાય છે જે બાબતે સૂચન કરવામાં આવ્યું હતું. જ્યારે ભાજપ આગેવાન ચેતનગીરી ગોસ્વામી દ્વારા નેશનલ હાઇવે પર ટ્રાફિક વોર્ડન માટે બેઠક વ્યવસ્થા કરવા જણાવાયું હતુ. જાગૃત નાગરિક દ્વારા શહેરના ગ્રીન ચોકમાં લારી ગલ્લા તેમજ મુખ્ય બજારમાં થતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સૂચન કરવામાં આવ્યું હતું. જ્યારે એક સામાજિક અગ્રણી દ્વારા શહેર આસપાસની સોસાયટીઓમાં થતી ચોરી ડામવા પેટ્રોલિંગ વધારવા બાબત રજૂઆત કરવામાં આવી હતી.

