સૌરાષ્ટ્રમાં જેની ગણના થાય છે તેવા હળવદ માર્કેટિંગ યાર્ડમાં તમામ સભ્યો બિનહરિફ થયા બાદ આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં યુવાન અને વહીવટી કુશળતા ધરાવતા રજનીભાઈ સંઘાણીને ખેડૂત પેનલમાંથી ચેરમેન પદે પસંદગી કરવામાં આવી હતી. તો સાથે વેપારી વિભાગની પેનલમાંથી કિશોરભાઈ રામજીભાઈની વાઈસ ચેરમેન પદે પસંદગી કરવામાં આવી હતી. હળવદ માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયાનું સપનું છે કે હળવદ માર્કેટિંગ યાર્ડ ટોપમાં સ્થાન પામે. તો સાથે રણછોડભાઈ પટેલે પણ ખુબ પોતાની લગન અને મહેનતથી માર્કેટિંગ યાર્ડનો વિકાસ કર્યો છે. અને હવે અમારી નવી ટીમ આગળની જવાબદારી મળી છે. ત્યારે અમે આખી ટીમથી નવી દિશા આપીશું અને ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરી યાર્ડને નવી ઉંચાઈએ લઈ જઈશું. આ તકે એપીએમસી ડિરેક્ટરો, ધારાસભ્ય, તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ, ભાજપના વિવિધ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

