મેટ્રો માટે ટનલ બોરિંગ મશીન(ટીબીએમ)ની કામગીરી વખતે એક સોસાયટીની બોરિંગની જૂની લાઈન તૂટી હતી.આ લાઈનમાંથી ફોમ સાથે કાદવનો રગડો બહાર નીકળ્યો હતો અને સોસાયટીના ઘરોમાં અને રસ્તા ઉપર ફેલાયો હતો. સમગ્ર વિસ્તારમાં કાદવનું જાણે સામ્રાજ્ય હોય તેવા હાલ થયા હતા.સુરતમાં વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં સોમવારે સાંજે જાણે કાદવનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવી આશ્ચર્યજનક ઘટના બની હતી.
મેટ્રો રેલની કામગીરી દરમિયાન કાદવનો ફુવારો ઊઠ્યા બાદ સોસાયટીઓમાં કાદવની નદી વહી હતી. રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. વિઠ્ઠલનગર સોસાયટીમાં એક જ ઘરના જે નળ હતા એમાંથી પાણીને બદલે ફોમ સાથેનો કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો હતો. શું થયું, શું ન થયું તે અંગે છવાયેલા કૌતુક વચ્ચે કાદવનો સ્તર વધવા લાગતાં આખી સોસાયટીના રહીશો ચિંતામાં મૂકાયા હતાં.
સુરત મેટ્રો પ્રોજેક્ટના જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણનું કહેવુ હતું કે, અંડરગ્રાઉન્ડ મેટ્રોની કામગીરીમાં માટીને કટ કરવા માટે એક પ્રકારના ફોમનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ટનલ બોરિંગ મશીનને માટી ખોદતી વખતે ઘર્ષણ ઓછું લાગે. સોમવારે આ ટીબીએમના સંપર્કમાં કોઈ સોસાયટીના પ્રાઈવેટ બોરિંગની જૂની લાઈન આવી હશે અને તે બ્રેક થતાં ફોમ અને માટી સાથે કાદવનો રગડો પ્રેસરથી ઉપર નીકળ્યો હશે અને સોસાયટીમાં ફેલાયો હશે. તેઓ વધુમાં ઉમેરે છે કે, સ્થિતિ કોઈ ખૂબ જૂની ઉપયોગમાં નહીં લેવાતા હોય તેવા બોરિંગની લાઈનને લાઈનના કારણે સર્જાઈ હોવાની શક્યતા છે. ખૂબ જૂની લાઈનના કારણે તે નજરમાં ન આવી અને પ્રેસરને કારણે માટી અને ફોમ ઉપર આવી ગયા છે. અમે આ પ્રેસરને કંટ્રોલ કરી કરી દીધું છે. એટલે હવે તે બહાર નહીં આવે.મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં આવેલા કાદવને સાફ-સફાઈ બાદ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવશે.