ગુજરાતમાં આપના વધી રહેલા પ્રભાવ વચ્ચે સ્થાનિક ભાજપના સંગઠન અને સંકલનથી નારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો નિર્ધારિત કાર્યક્રમ ન હોવાછતા કમલમમાં તાકીદની બેઠક ગોઠવી હતી. આવું ગુજરાતની રાજકીય લોબીમાં મનાય રહ્યું છે. જોકે આ બેઠક બાદ પક્ષના નેતાએ મોટો અને મહત્ત્વનો ખુલાસો કર્યો છે.
જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ ચોખવટ કરવી પડી છે કે આ બેઠકમાં વડાપ્રધાન અચાનક નથી આવ્યા. પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અગ્રહને માન આપીને આવ્યા હતા. તેઓ કોર કમિટીના સભ્યોને મળ્યા હતા. ચૂંટણી આવી રહી છે ત્યારે વિકાસના એજન્ડાને ધ્યેય બનાવીને આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.વાઘાણીએ વધુમાં જણાવ્યું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરકારના કાર્યો અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સંગઠનના કામોનો ચિતાર વડાપ્રધાન સમક્ષ રજૂ કર્યો હતો. મોદીએ તેમની કામગીરીને બિરદાવી હતી. વડાપ્રધાને ગુજરાતમાં થયેલાં કાર્યોની સરાહના કરીને લોકોપયોગી કાર્યોનો સંદેશ તમામ પ્રજાજન સુધી પહોંચે તેવા પ્રયાસો કર્યા હોવાની ચોખવટ જીતુ વાઘાણીએ કરી હતી.
આ બેઠકમાં પીએમ નારાજ ન હતા પણ ખુશ હતા અને હળવા ફૂલ વાતાવરણમાં વડાપ્રધાને પોતાના પાર્ટી અને સરકાર સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું.

