દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ઘરે ઘરે તિરંગા લાગી રહ્યા છે ત્યારે ગુજરાતની એક દીવાલ એવી છે કે જ્યાં આઝાદીની આગની મશાલ જીવતી રાખવા લોકોએ અનેક પ્રયાસ કર્યા હતા પરંતુ નાનું ગામ હોવાથી એને ઇતિહાસમાં સ્થાન મળ્યું નથી પરંતુ ગામના લોકોએ આઝાદીની લડાઈની સ્મૃતિને તાજી રાખવા આઠ દાયકાથી દીવાલ પર રંગ નથી કરાવ્યો.
પટોળા માટે પ્રખ્યાત પાટણની શાંતિનાથની પોળ પાસેનો એક બંગલો આઝાદીની લડાઈમાં લોકોના જુસ્સાની સાક્ષી પૂરે છે. વાત છે ૧૯૪૨ની જ્યારે ગાંધીજીએ ભારત છોડોનો નારો આપ્યો હતો. એ સમયે ગુજરાતના પાટણમાં શાંતિનાથની પોળ પાસે આવેલા ડાયમંડ બંગ્લામાં ક્રાંતિકારીઓની એક મિટિંગ થઇ.
જાણીતા ઇતિહાસ વિદ સ્વ.ડો.મંગુભાઈ પટેલે આઝાદીની ચળવળમાં ગરબા પર કરેલા સંશોધનમાં પાટણનો ઉલ્લેખ કરાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બહેનોને આઝાદીની ચળવળમાં જોડવા માટે એ સમયે શાંતિનાથની પોળની પાસે આવેલા ડાયમંડ બંગલામાં ક્રાંતિકારીઓની બેઠક થતી હતી. જેમ બહેનોમાં જુસ્સો લાવવા માટે ડાયમંડ બંગલામાં ગરબા તૈયાર કરતા હતા અને બહેનો ગરબા ગાઈને વિરોધ કરતી હતી. અંગ્રેજો એમને રોકી શક્યા નહતા. આ સમયમાં ગાંધીજીએ ભારત છોડોનો નારો આપ્યો. પાટણના ડાયમંડ બંગલાની દીવાલ પર પહેલીવાર ‘અંગ્રેજો ભારત છોડો’નો નારો કાળા ક્લેરથી લખાયો હતો. એ દિવસથી આજે આ દીવાલ પર ૮૦ વર્ષથી રંગ નથી થયો. સમયની ધૂળે આ નારાનો ક્લર થોડો ધૂંધળો કર્યો છે પણ પાટણવાસીઓ એ આ નારાને સાચવી રાખ્યો છે.

