હળવદના જીઆઈડીસી વિસ્તારમાં બુધવારે દીવાલ ધસી પડવાની અને તેમાં 3 વર્ષના બાળક,બાળ મજૂરો મહિલા સહિત 12 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. દેશભરમાં ચકચાર જગાવનારી આ ઘટનામાં પીએમ મોદી,ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી તેમજ તમામ આગેવાનોએ મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થિતિ વિશે માહિતી મેળવી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા સુચના આપી હતી.
આ ઘટનામાં બીજા દિવસે મૃતક રમેશભાઈ કોળી ની દીકરીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં ફેકટરીના માલિક,ભાગીદારો, સુપરવાઈઝરો,સહિત 8 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ થઈ છે.જેમાં માલીક કિશનરામ લાલરામ ચૌધરી તેમના પુત્ર,આત્મારામ ચૌધરી,મેનેજર રાજેશકુમાર જૈન,અફઝલ અલ્લારખા ઘોણીયા,દેવો ઉર્ફે વારિસ અલ્લારખા,સંજય ચુનીલાલ ખત્રી,મનોજ રેવા સનુરા આસિફ નુરા સહિતના 8 લોકો વિરુદ્ધ નામજોગ ગુન્હો નોંધવામાં આવ્યો છે.ફરિયાદમાં આરોપીઓ સામે ગુન્હાહિત બેદરકારી દાખવવા, દીવાલમાં હલકી ગુણવતાનું મટિરિયલ વાપરી,દીવાલ બનાવવા બીમ કોલમ ઉભા કર્યા વિના દીવાલ ઉભી કરી તેની ક્ષમતા ચકાસ્યા વિના મીઠાની બોરીઓ રાખવા બદલ આઇપીસી કલમ 304,308 અને 114 અંતર્ગત ઉપરાંત ફેક્ટરીમા બાળ મજૂરો રાખવા બદલ બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અને નિયમન 2016 કલમ 33 એ અને14 મુજબ હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

