જેમને શિક્ષણ સારું લાગતું ન હોય તેવો જે રાજ્ય કે દેશનું શિક્ષણ ગમતું હોય ત્યાં જતું રહેવું જોઈએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની વાતના ઊંડા પડઘા રાજકીય લોબીમાં પડ્યા છે. જેને લઈને હવે એનો વિરોધ થવાનું શરૂ થઈ ગયું છે. એ વિરોધની શરૂઆત પણ ગાંધીનગરથી થઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શિક્ષણમંત્રીના આ નિવેદનનો વિરોધ કરી રહી છે. ગાંધીનગર આમ આદમી પાર્ટી તરફથી એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિક્ષણને મંત્રીની નહીં પણ મંત્રીને શિક્ષણની જરૂર છે એવા બેનર લાગ્યા હતા. આમ આદમી પાર્ટીએ આવા અનેક સુત્રો સાથે બેનર પ્રદર્શન કર્યું છે. આ સાથે શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરી છે. જીતુ વાઘાણીએ રાજકોટમાં પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે જાહેર સભામાં નિવેદન આપ્યું હતું. દિલ્લીના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને જીતુ વાઘાણી પર વળતો પ્રહાર કર્યો હતો. શિક્ષણ મંત્રી તરીકે જીતુ વાઘાણીનાં નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા વાયરલ થઈ ગયા છે.

આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ ગાંધીનગરમાં એકઠા થયા હતા. સીધું સટ્ટ સારું શિક્ષણ આપો નહીં તો શિક્ષણ મંત્રી રાજીનામું આપો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખે જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી સારું શિક્ષણ આપી ના શકે તો દિલ્હી મોડલ અપનાવી લેવું જોઈએ. દિલ્હીની સરકારી સ્કૂલોની જે રીતે કાયાપલટ કરાઈ છે તેની નોંધ દેશ વિદેશમાં લેવાઈ રહી છે. શિક્ષણ મંત્રીએ જે રીતે નિવેદન કર્યું છે ત્યારે તેમણે રાજીનામું દેવું જોઈએ.


