રાજ્ય સરકારના ઢોર નિયંત્રણ બિલનો ઠેર ઠેર માલધારી સમાજ દ્વારા વિરોધ કરી રહ્યાં છે. વિરોધ અને અનેક રજૂઆતો બાદ આ કાયદો રદ્દ થવાની શક્યતાઓ પણ સામે આવી છે. તો આવતીકાલે માલધારી સમાજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરશે અને ત્યાર બાદ આ અંગેનો નિર્ણય લેવાશે.

ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન આવ્યું છે. કાયદો આવવાનો હતો એ વખતે મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ કાયદામાં 600 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રીને માલધારી સમાજના લોકો મળ્યા હતા. માલધારી સમાજના લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે. આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ મંત્રીઓ સાથે વાત કરી છે. કોઈને નુકસાન કે તકલીફ ન પડે તેનું કાયદામાં ધ્યાન રખાશે. આવતીકાલે માલધારી સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રી ફરીથી બેઠક કરશે. આ બેઠક બાદ કાયદા અંગે નિર્ણય લેવામાં આવશે.

રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈ ભારે વિરોધને કારણે કાયદા અંગે ફેરવિચારણાં થઈ શકે છે. ગઈ કાલે સોમવારના રોજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. ત્યારબાદ હવે માલધારી સમાજના આગેવાનોએ સી.આર.પાટીલ સાથે બેઠક કરી છે. માલધારી સમાજના આગેવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે આજે બેઠક હતી. આવતીકાલે ફરી બેઠક કરી કાયદો રદ્દ કરવા રજૂઆત કરશે. માલધારી સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ આગામી સત્રમાં બિલ રદ કરવા સી.આર.પાટીલે ખાત્રી આપી છે. મુખ્યમંત્રી કાયદા રદ કરવાનો નિર્ણય લઈ શકે છે.

