વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં વિખવાદ અને જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે. ભાવનગરમાં એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યને સ્ટેજ ઉપર સ્થાન નહીં મળતા વિખવાદ સર્જાયો છે. સ્ટેજ ઉપર સ્થાન નહીં મળવાના કારણે ધારાસભ્યએ કાર્યક્રમ છોડીને ચાલતી પકડી હતી.

રાજકોટ બાદ ભાવનગરમાં પણ ભાજપમાં જૂથવાદની ચર્ચા સામે આવી છે. જીતુ વાઘાણી અને વિભાવરીબેન દવે વચ્ચે વિખવાદ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ભાવનગરમાં આયોજિત એક શૈક્ષણિક કાર્યક્રમમાં રાજ્યપાલ પણ ઉપસ્થિતિ હતા. તે સમયે વિભાવરીબેન દવેને ધારાસભ્ય હોવા છતાં પણ સ્ટેજ પર બેસવાનું સ્થાન ન મળતા આંતરિક વિખવાદ હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. ભાવનગરમાં યુનિવર્સિટીનો કાર્યક્રમ હતો. જેમાં પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેને સ્ટેજ પર ન બેસાડતા વિખવાદ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતું. ભાવનગરના ધારાસભ્ય હોવા છતાં તેઓને રાજ્યપાલની ઉપસ્થિતિમાં સ્ટેજ પર સ્થાન ન આપવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી @ADevvratજીની વિશેષ ઉપસ્થિતિમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના ૮ માં પદવીદાન સમારંભમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન દ્વારા કારકિર્દીમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી. pic.twitter.com/0DvuZVlmLB
— Jitu Vaghani (@jitu_vaghani) March 26, 2022
જીતુ વાઘાણીના ઇશારે વિભાવરીબેનને સાઇડલાઇન કરાયા હોવાની ચર્ચા થઇ રહી છે. વિભાવરીબેન દવે પૂર્વ મંત્રી હોવા છતાં સ્ટેજ પર સ્થાન ન અપાયુ. જો કે આવુ પહેલી વાર નથી બન્યુ. જીતુ વાઘાણી અને વિભાવરીબેન દવે વચ્ચે અનેક કાર્યક્રમમાં વિખવાદ જોવા મળ્યો છે. તો આ તરફ રાજકોટ ભાજપમાં પણ જૂથવાદ સપાટીએ આવ્યો હતો. રાજકોટમાં શહીદ દિવસ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેની આમંત્રણ પત્રિકામાં આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. આ આમત્રંણ પત્રિકામાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહીત સામાન્ય કાર્યકર્તાના નામ હતા. લોકસભાના સાંસદ કુંડારીયાનું પણ નામ હતું. પરંતુ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું નામ ન હોવાથી આંતરિક જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યુ હતું. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપે પણ આ મામલે મનોમંથન કરવું જરૂરી થઇ પડે છે.

