રાજ્યમાં આજે ધો. 1થી 9ના ઓફલાઈન વર્ગખંડોની શરૂઆત થઈ છે. પરંતુ આજે પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. તો બીજી તરફ વાલીઓમાં હજુ પણ કોરોનાની ત્રીજી લહેરનો ભય જોાવ મળી રહ્યો છે અને પોતાના બાળકોને શાળામાં મોકલી રહ્યાં નથી.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર તા. 7 જાન્યુઆરીથી શરૂ થતા રાજ્ય સરકાર દ્વારા ધો. 1થી 9માં ઓફલાીન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના એક મહિના બાદ ફરી રાજ્યની તમામ શાળાઓમાં ધો. 1થી 9માં આજથી ઓફલાઈન વર્ગોનો પ્રારંભ શરૂ થયો છે. આજે શાળા ખુલ્યાના પ્રથમ દિવસે મોટાભાગની શાળાઓમાં 40થી 50 ટકા જેટલા વિદ્યાર્થીઓ જ હાજર રહ્યાં હતાં.

તો બીજી તરફ લગ્નસરાની સીઝન ચાલી રહી હોય શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી હતી. તેમજ કોરોનાની ત્રીજી લહેર હળવી બન્યાબાદ પણ વાલીઓ પોતાના બાળકોને સ્કુલે મોકલતા ડરનો અનુભવ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધો. 10થી 12ની પરીક્ષા માર્ચ મહિનામાં છે. તેમજ ધો. 1થી 9ની પરીક્ષા પણ એપ્રિલ મહિનામાં યોજાવાની છે ત્યારે હવે બે મહિનામાં વધુ સમય સાથે બાળકોનો અભ્યાસક્રમ પુર્ણ કરાવવા માટે શિક્ષકો અને શાળા સંચાલકો પણ તકેદારી રાખી રહ્યાં છે.

