જાન્યુઆરી મહિનો પૂરો થતા ઘણા લોકો અમૃતફળ ગણાતા કેરીની આંતુરતાથી રાહ જોતા હોય છે. પણ આ વખતે લોકોએ ખાવા લાયક કેરી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. પહેલા અથાણા માટેની કેરી આવશે. ત્યાર બાદ ખાવા કે રસ માટેની કેરી માર્કેટમાં આવશે. જ્યારે કેરી માર્કેટમાં દેખાવવા લાગે ત્યારે જ આનંદની લાગણી થાય. પણ ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાને કારણે તથા આ વર્ષે વધુ પડતી ઠંડીને તેમજ માવઠાને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે.
હજુ પણ કેરીમાં મોર આવ્યા નથી. એવું ખેડૂતો કહે છે. આ વર્ષે કેરી એક મહિનો મોડી આવશે. એવા એંઘાણ અત્યારે વર્તાય રહ્યા છે. ખાસ કરીને કેસર હજુ માર્કેટમાં આવતા ઘણ વાર લાગશે. ગત વર્ષે સૌરાષ્ટ્ર કચ્છ, તલાલા, ગીર સોમનાથ, જૂનાગઢ તથા અમરેલી પંથકમાં સૌથી વધારે કેરીનું 45694 મેટ્રિક હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી કુલ 255046 મેટ્રિક ટટન કેરીનું ઉત્પાદન થયું હતું. ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાને કારણે અમુક પંથકમાં હજું નુકસાનીની અસર વર્તાય છે. કેટલોક પાક પણ ફેઈલ થઈ ગયો હતો. આ વર્ષે પણ પાકને અસર થશે. કૃષિ યુનિ. જૂનાગઢના બાગાયત પાક વિભાગના પ્રોફેસર અને વડા ડૉ.ડી.કે. વરૂના જણાવ્યા અનુસાર અત્યારે એ સમય છે કે કેરીના પાકમાં 60થી 70 ટકા મોર આવી જવો જોઈએ. પણ એવું બન્યું નથી. હાલ માત્ર 20 ટકા આંબામાં જ મોર આવ્યા છે. સામાન્ય રીતે ડીસેમ્બર મહિનાના અંતમાં આંબાના પાકમાં મોર આવે છે. પણ આ વર્ષે જાન્યુઆરી મહિના સુધી આંબાના પાકમાં કોઈ મોર આવ્યા નથી. હવે જાન્યુઆરી એવું લાગે છે કે, આ મહિનાના અંત સુધીમાં મોર આવશે. આ વર્ષે વધી ગયેલી ઠંડી, અસ્થિર તાપમાન, વાદળછાયું હવામાન તેમજ સતત બે વખત થયેલું માવઠું કેરીના પાકને અસર કરે છે. જેથી મોર આવવામાં વધારે સમય લાગે છે.

તાપમાન અને હ્યુમિનિટીને ધ્યાને લેતા જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં આંબામાં સંપૂર્ણ રીતે મોર ખીલી જવાની પૂરી શક્યતાઓ છે. એટલે આ વર્ષે કેરી એક મહિનો મોડી ઊતરશે. પણ પાક અંગે હજું અનિશ્ચિતતા યથાવત છે. માર્ચ મહિનામાં અથાણા માટેની કેરી આવશે. જ્યારે ખાવા લાયક કેરી મે મહિનામાં આવવાની પૂરી શક્યતાઓ છે. હજુ પણ માવઠાના એંઘાણ વર્તાય છે. હવે જો વાતાવરણ પલટાશે તો કેરીના પાકને અસર થશે. એટલે ઉત્પાદન કેટલું થશે એ કહેવું મુશ્કેલ છે. પણ પાક ઓછો થવાની ભીતિ સેવાઈ રહી છે. ભારતીય કિસાન સંઘ તલાલા પ્રમુખ પ્રવિણભાઈ છોડવડિયાએ જણાવ્યું છે કે, આ વર્ષે ઈયળ, થિપ્સ, મઘીયો જેવી જીવાતને કારણે હજું આંબામાં કોઈ મોર આવ્યા નથી. જંતુના નાશ માટે સામાન્ય રીતે દવાના બે ડોઝ અપાઈ છે. હાલ પાંચ ડોઝ આપવાની જરૂર પડી છે. જીવાતનો ત્રાસ વધતા કેરીના પાકને અસર થઈ છે. 20 વર્ષ જૂના ઝાડ વાવાઝોડાને કારણે પડી ગયા છે. તેથી પાક ઉત્પાદનને અસર થશે એ ચોક્કસ છે.

