આણંદ જિલ્લાના કલમસરમાં કીર્તિદાન ગઢવીએ જનમેદની વચ્ચે ડાયરો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. ધારાસભ્ય મયુર રાવલ પ પૈસા ઉડાવતા જોવા મળ્યા છે. એક બાજુ રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. પણ નિયમ કોને લાગુ પડે છે એ પ્રશ્ન સતત ચર્ચામાં રહ્યો છે. કોરોના વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમો કોરોના સ્પ્રેડર બને એવી ભીતિ સેવાઈ રહી છે.

આરોગ્ય મંત્રીએ લોકોને કોઈ જાહેર મેળાવડામાં ન જવા માટે અપીલ કરી છે. તેમ છતાં આ પ્રકારના ડાયરાનું આયોજન થઈ રહ્યું છે. શું આવા લોકોને કોઈ નિયમ લાગુ નથી પડતા? હાલમાં આ ડાયરામાંથી સામે આવેલું ચિત્ર ખરા અર્થમાં ચિંતાજનક છે. ચરોતરમાં હજારોની મેદની વચ્ચે કીર્તિદાને ગરબા અને ભજનની રમઝટ બોલાવી હતી. અનેક એવા લોકો માસ્ક વગરના જોવા મળ્યા હતા. આ દરમિયાન કલાકારે કહ્યું હતું કે, માસ્ક ઊતારશો તો વધારે મજા આવશે. આ સાથે એવું પણ કહ્યું કે, આમાં 400થી વધારે લોકો છે જ નહીં એટલે કોઈ વિરોધ નહીં કરી શકે. આ કાર્યક્રમમાં લોકો કોરોના ભૂલીને આનંદ માણી રહ્યા હતા. આ ઉપરાંત સ્ટેજ પર ભાજપના ધારાસભ્ય મયુર રાવલ પણ નોટનો વરસાદ કરી રહ્યા છે. આ સિવાય પણ અન્ય ઘણા લોકોએ નોટનો વરસાદ કર્યો હતો. મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય જોવા મળ્યું ન હતું. આ કાર્યક્રમમાં ખુદ ધારાસભ્ય પણ માસ્ક વગરના જોવા મળ્યા છે. આ સિવાય એમના સમર્થકો તથા અન્ય લોકો પણ માસ્ક વગરના જોવા મળ્યા હતા.

ગાઈડલાઈન્સના નિયમનો ભંગ થયો હતો. રાજ્યમાં કોરોના વાયરસનો એક કેસ ન હોય એવું ચિત્ર જોવા મળ્યું. આ ડાયરાથી જાણે પોલીસ પણ અજાણ હોય એવું લાગે છે. કારણ કે કોઈ તકેદારીના પગલાં લેવામાં આવ્યા ન હતા. ચરોતર પંથકની વાત કરવામાં આવે તો તા.6 જાન્યુઆરીના રોજ 1214 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 112 લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 9.23 ટકા પોઝિટિવ રેટ જોવા મળ્યો છે. જ્યારે તા.7 જાન્યુઆરીનો રોજ કરવામાં આવેલા ટેસ્ટમાં કુલ 1645 ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 133 લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તા.7 જાન્યુઆરીના રોજ પોઝિટિવ રેટ 8.09 ટકા રહ્યો હતો. તા.8 જાન્યુઆરીના રોજ 921 ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 87 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. કીર્તીદાનના આ ડાયરામાં માત્ર ભાજપના ધારાસભ્ય જ નહીં પણ કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર પણ નોટનો વરસાદ કરી રહ્યા હતા. આ ચિત્ર સામે આવ્યા બાદ મુદ્દો એ ચર્ચામાં છે કે, પોલીસ આ કલાકાર કે નેતા સામે પગલાં લેશે? રાજકીય આગેવાન કલાકાર પર પૈસાનો વરસાદ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે મુદ્દો ચર્ચાય છે. લોકો સામે કડક વલણ અપનાવતી પોલીસ રાજનેતા અને કલાકાર સામે કેવા પગલાં લેશે? આવું જ ચિત્ર રહ્યું તો કેસ વધશે એ નક્કી.

બીજી તરફ તાજેતરમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં મધુવન ગ્રીન પાર્ટીપ્લોટ ખાતે ચિરાગ ઉર્ફે ડાગો પટેલે મિત્રો સાથે પોતાના શ્વાનનો જન્મદિવસ ઉજવ્યો હતો. જેમાં કાજલ મહેરિયાએ રમઝટ બોલાવી હતી. અહીં પણ ઘણા લોકો એકઠા થયા હતા.

