ગાંધીનગર, મંગળવાર
કોન્ગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરનું મોટું નિવેદન સામે આવ્યું છે. ટીકીટ વહેચણીમાં કોંગ્રેસમાં પૈસા એ મૂલવણીનો માપદંડ નથી. ડેરે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં કદાચ એકાદ વખત એવું બન્યું હશે પરંતુ આજના સમયમાં કોંગ્રેસમાં ટીકીટ વહેચણીનુ મુલ્યાંક પૈસા સાથે નહી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે માત્ર કોંગ્રેસ નથી લડી રહી તેમ કહીને ડેરે ઉમેર્યું કે, આ વખતે યુવાનો,મહિલાઓ, ખેડૂતો,શિક્ષિત બેરોજગાર સૌ કોઈ ચૂંટણી લડી રહ્યા છે અને પરિણામ પણ શ્રેષ્ઠ હશે. તાજેતરમાં જ કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખપદની જવાબદારી સોંપાઈ છે.તો સુખરામ રાઠવાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ઠાકોરથી ઉત્તર ગુજરાત અને રાઠવાથી મધ્ય ગુજરાતની ગ્રામીણ વોટ બેન્કને મજબૂત બનાવવાનો આશય છે. 2017ની વિધાનસભામાં કોંગ્રેસે,ભાજપને મોટી લપડાક આપી,સૌરાષ્ટ્રમાં લગભગ સફાયો કરી દીધો હતો. પાછળથી રાજ્યસભા ચૂંટણી વેળા કેટલાક કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા અને એ બેઠકો પર પેટા ચુંટણી આવતા કોંગ્રેસનો પૂર્ણ રકાસ થયો,એક પણ બેઠક ના જીતી શકાઈ. તો 2020ની શરૂઆતમાં મહાપાલિકા અને પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે રાજ્કીય ઇતિહાસનું સૌથી મોટું નુકસાન વેઠયું. ભારે રકાસ થયો. સુરતમાં અને રાજકોટમાં કોંગ્રેસની,મહાપાલિકામાં એક પણ બેઠક ના આવી. કુલ મળીને હવે વિધાનસભા ચૂંટણી પર જ કોંગ્રેસનું ફોકસ છે ત્યારે, કોંગ્રેસમાં ટીકીટ માટે નાણાની વાતને અમરીશ ડેરે રદિયો જ આપી દીધો છે.

