ભારતીય સંસ્કૃતિ હંમેશા વિદેશીઓને આકર્ષતી રહી છે. એમાં પછી ધર્મની બાબત હોય કે રીત રીવાજ. હિંમતનગર જિલ્લાના સાકરોડિયા ગામે આવું એક ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ સંસ્કૃતિ અનુસાર ફેરા ફર્યા હતા. વરરાજાને પીઠી ચોળવામાં આવી હતી અને ઘોડે ચડીને તે દુલ્હન લેવા માટે પહોંચ્યો હતો. મંડપમાં ફેરા ફરવામાં આવ્યા અને ક્ન્યાદાન પણ થયું.

ખાસ વાત એ છે કે, જુદા જુદા દેશના બે વ્યક્તિએ ભારતમાં આવીને હિન્દુ સંસ્કૃતિ અનુસાર લગ્ન કરી લીધા. આ પ્રસંગે જાનૈયા તરીકે ગુજરાતીઓ જોડાયા. સપ્તપદીના સાત વચન સંભળાવાયા આ સાથે હસ્તમેળાપ પણ થયો. સાકરોડિયામાં યોજાયેલા આ લગ્નમાં જર્મનનીનો વર અને રશિયાની યુવતી એકદમ સુંદર લાગી રહ્યા હતા. હિન્દુ વિધિ અનુસાર બંને લગ્નના તાંતણે જોડાયા. મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીને ભારતના રીત રીવાજમાં રસ પડ્યો હતો. દેશની આધ્યાત્મિકતાથી તેઓ આકર્ષાયા હતા. જેના કારણે બંનેએ હિન્દુ સંસ્કૃતિ અનુસાર મંગળ ફેરા લીધા છે. બંનેની ઈચ્છા હિન્દુ સંસ્કૃતિ અનુસાર લગ્ન કરવાની હતી. જે હિંમતનગરમાં સાકાર થઈ.

વર વધૂને પીઠી લગાવવામાં આવી હતી. લગ્ન ગીત ગવાયા હતા. આ સાથે વરરાજા ઘોડે ચડીને દુલ્હનને લેવા માટે પણ પહોંચી ગયા હતા. જુલિયા અને ક્રિશ બંને ખૂબ જ આધ્યાત્મિક વિચારધારા ધરાવે છે. દાદા ભગવાને સ્થાપેલા પંથથી તેઓ આકર્ષાયા છે. આ જ આકર્ષણ એમને હિંમતનગર સુધી ખેંચી લાવ્યું હતું. તેમણે પોતાના એક હિંન્દુ મિત્ર પાસે રીત રીવાજ અનુસાર લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી વિધિવત કંકોત્રી છપાઈ. પરિવાર બન્યો અને લગ્ન પણ લખાયા.

જોકે, આ વિદેશી દંપતિના લગ્નમાં આસપાસના ગ્રામવાસીઓ પણ જોડાયા હતા. લગ્ન ગીત ગવાયા હતા. મામેરાથી લઈને સામૈયા સુધીની વિધિ કરવામાં આવી હતી. જોકે, હિન્દુ સંસ્કતિ અનુસાર લગ્ન કરનાર આ કોઈ પ્રથમ યુગલ નથી. આ પહેલા પણ ડીસેમ્બર મહિનામાં NRI સાથે આવીને વિદેશી યુવાનો હિન્દુ સંસ્કૃતિ અનુસાર લગ્ન કરી રહ્યા છે. ખાસ કરીને ભારતની આધ્યાત્મિકતાને આકર્ષીને તેઓ આ રીત રીવાજ અનુસાર લગ્ન કરી રહ્યા છે

