નવી દિલ્હી,શનિવાર
IPL 2022 માં આવી રહેલી નવી ફ્રેન્ચાઇઝી લખનૌએ આગામી સિઝન માટે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને તેના માર્ગદર્શક તરીકે નિયુક્ત કર્યા છે. ગંભીરે કેપ્ટન તરીકે કોલકાતા નાઈટ રાઈડર્સને બે આઈપીએલ ખિતાબ અપાવ્યો છે. ફ્રેન્ચાઇઝીએ ગઇકાલે જ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન એન્ડી ફ્લાવરને તેના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા.ભારતની બે વર્લ્ડ કપ જીતમાં ગંભીરનો ભાગ રહ્યો છે. 2007માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ટાઈટલ જીત્યું હતું અને ફાઈનલમાં ગંભીરે અડધી સદી ફટકારી હતી. આ સિવાય 2011માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ગંભીરે ફાઇનલમાં 97 રનની ઇનિંગ રમીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગંભીર આઈપીએલમાં બે ટીમો તરફથી રમી ચૂક્યો છે. તે સૌ પ્રથમ તેના ગૃહ રાજ્ય દિલ્હીની ફ્રેન્ચાઇઝી દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) માટે રમ્યો હતો. ત્યારબાદ તે કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગયો જ્યાં તેને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. 2012માં, આ ટીમે ગંભીરની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને તેનું પહેલું ટાઈટલ જીત્યું હતું. તે જ સમયે, 2014 માં, આ ટીમે કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) ને હરાવીને તેનું બીજું ટાઇટલ જીત્યું.

