અમદાવાદ,શનિવાર
શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ, મણિનગરના મહંત તેમજ સાધુતાની મૂર્તિ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી માગશર સુદ પૂનમ ને શનિવારે બપોરે 2.૦૦ કલાકે 101 વર્ષની ઉંમરે સ્વતંત્રપણે મનુષ્યલીલા સંકેલી મૂર્તિનાં સુખે સુખિયા થયા છે. તેમના અંતિમ દર્શન તથા પાલખીયાત્રા સહિતની વિધિ 19 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી કુમકુમ મંદિર, મણિનગર ખાતે જ્યારે અંતિમ સંસ્કાર વિધિ બપોરે 2 વાગ્યે કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર ખાતે યોજાશે.
અમદાવાદના મણીનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામી અક્ષરવાસી થયા છે. સ્વામીના અક્ષરવાસથી હરિભક્તોમાં શોકની લહેર ફરી વળી છે.આનંદપ્રિયદાસજી સ્વામીએ 101 વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો છે.આવતીકાલે આનંદપ્રિયદાસજીના અંતિમ દર્શન ભક્તો કરી શકશે.સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સૌ પ્રથમ ઈ.સ. 1948માં આફ્રિકા પધાર્યા હતા. અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે મંત્રી તરીકે રહીને સાધુ સમાજ દ્વારા સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવા પણ તેમણે કરી છે.
ઈ.સ. 1985માં મણિનગરમાં કુમકુમ સંસ્થાનું નવસર્જન કર્યા બાદ આજે આ સંસ્થા વટવૃક્ષ બની છે. સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજિક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. આમાં મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સાથે – સાથે દર રવિવારે સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા – પારાયણો, મહાયજ્ઞો, માસિક મુખપત્ર એવું શ્રી સ્વામિનારાયણ દિગ્વિજયનું પ્રકાશન, આવી વિવિધતા ભરી ધાર્મિક પ્રવૃતિઓ પણ આ સંસ્થા ચલાવી રહી છે. દિવંગત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શારત્રો અને અનેક સાધનાઓમાં ભૂલા પડેલા માનવીઓને સાચો માર્ગ ચીંધી આત્યંતિક મોક્ષની વાટ બતાવી હતી. તદુપરાંત તેમણે લોકોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ જેમને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો.

