જામનગર, શુક્રવાર
ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના કેસ વધવાની સાથે ઓમિક્રોનના પાંચ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું, જોકે જામનગરમાં પોઝિટિવ આવેલા દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. ઓમિક્રોનના નોંધાયેલ ત્રણેય દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા 3 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દર્દીઓ પોઝિટિવ આવ્યાના 12 દિવસ બાદ ફરીથી રિપોર્ટ કરાયા હતા જેમાં રિપોર્ટ નેગેટિવ આવતા ત્રણેય દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, ગુજરાતના પ્રથમ ત્રણ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે, ત્યારે હવે ગુજરાતમાં ઓમિક્રોનનો માત્ર એક કેસ એક્ટિવ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
રાજ્યમાં કેટલાક દિવસથી કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. શહેર અને જિલ્લામાં 20 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેર અને જિલ્લામાં 9 દર્દી સાજા થયા છે. જોકે એક પણ દર્દી મુત્યુ પામ્યો નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. જ્યારે 43 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે વડોદરામાં 393 મુસાફરો આવ્યા છે. 20 દિવસમાં 393 મુસાફરોમાંથી 58 મુસાફરો યૂકેથી વડોદરા આવ્યા છે. અને અત્યાર સુધી કુલ 19 મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. અને તમામના ઓમિક્રોન સેમ્પલ લઇ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

