ગાંધીનગર,ગુરુવાર
આખરે ખેડૂત આંદોલનનો અંત આવ્યો છે. 378 દિવસ બાદ કિસાન મોરચાએ ખેડૂત આંદોલન સમાપ્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સંયુક્ત કિસાન મોરચાની ગુરુવારે બપોરે એક મોટી બેઠક મળી હતી, બેઠક બાદ ખેડૂત નેતાએ આંદોલન પુરુ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ત્યારે ગુજરાત સરકાર કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ખેડૂતોના નિર્ણય અને સરકારના પગલાને આવકારું છું. કૃષિ કાયદા પરત લેવાના કરેલી જાહેરાત બાદ આજે સ્થગિત કરવાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું હતું કે આ આંદોલન તો પીએમ મોદીએ ખેડૂતોના હિતના લીધેલા નિર્ણયના દિવસે જ પરત લેવાની જરૂર હતી. જો કે તેમ છતાં આજે જે નિર્ણય લીધો છે તેને આવકારું છું.
કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂત ખેડૂત આંદોલન પરત ખેંચાયું તે નિર્ણયને આવકારતા કહ્યું હતું કે ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય છે. પોષણક્ષમ ભાવ માટે સરકાર હંમેશા કાર્યરત છે અને રહેશે, ખેડૂતોની આવક ડબલ કરવાનો નિર્ધાર છે તેના પર કેન્દ્ર અને રાજ્યની સરકારો કામ કરી રહી છે. ખેડૂતોને અપાયેલા વચનોને પૂરા કરવા કટિબધ્ધ છીએ. વિપક્ષ ખેડૂતોના મુદ્દે રાજનીતિ કરી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે નક્કી કરેલા ટેકાના ભાવ મુજબ મગફળીની ખરીદી થઈ રહી છે. કેન્દ્ર સરકાર પણ MSP પર ધ્યાન કેન્દ્રિત કરી મોટા પગલાં લઈ રહ્યું છે.નવા કૃષિકાયદા લાવવા માટે જો રાજ્યોના કૃષિમંત્રીઓની સલાહ લેવામાં આવશે તો અચૂક અમે ખેડૂતો પડતી મુશ્કેલીઓ ઝીણવટ ભરી રીતે રજૂ કરીશું.
યુનાઇટેડ કિસાન મોરચાએ જણાવ્યું હતું કે સરકારે મોકલેલા નવા પ્રસ્તાવમાં સરકાર એમએસપી અંગેની સમિતિમાં સંયુક્ત કિસાન મોરચાના સભ્યોને સામેલ કરવા સંમત થઈ છે. સાથે જ સરકારે પ્રસ્તાવમાં એવું પણ લખ્યું છે કે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણાની સરકારો ખેડૂતો સામે નોંધાયેલા કેસો તાત્કાલિક પાછા ખેંચવા સંમત થઈ છે. દિલ્હીમાં ખેડૂતો સામે નોંધાયેલા કેસો પણ પાછા ખેંચી લેવામાં આવશે.

