રાજ્યમાં મંગળવારથી એકાએક પલટાયેલા વાતાવરણને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને વહેલી સવારે સૌરાષ્ટ્ર તથા અમદાવાદ પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાક સામે મોટું જોખમ ઊભું થયું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજુલા, બોટાદ, આટકોટ પંથકમાં વરસાદ પડતા શિયાળામાં અષાઢી માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારમાં પણ વરસાદને કારણે વાતાવરણમાં ટાઢક પ્રસરી ગઈ છે.
હવામાનની બદલતી સ્થિતિને ધ્યાને લઈને તંત્ર તરફથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે તલ, ચણા, શેરડી તથા જીરૂના પાકને નુકસાન થવાની પૂરી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ સહિતના પંથકમાં ભરશિયાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલ અને જસદણ પંથકમાં મોડી રાત્રે પવનના સુસવાટા સાથે ધીમીધારે વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદમાં વહેલી સવારથી ભારે પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડતા વેસ્ટર્ન ડિસ્ટબન્સની એક મોટી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે તા.3 ડીસેમ્બર સુધી વરસાદ પડે એવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરી છે. પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. વરસાદ પડતાં વહેલી સવારે મેદાનમાં LRD ભરતીની પ્રેક્ટિસ માટે દોડવા આવેલા ઉમેદવારો પણ ઠંડીમાં ઠૂંઠવાયા હતા. સૌરાષ્ટ્રમાં બદલાયેલા વાતાવરણને પગલે કેટલાક માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યા છે.

