નવી દિલ્હી,મંગળવાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ- 2022 પહેલા મેગા ઓક્શન યોજાવાની છે, તેથી આજે (30 નવેમ્બર) તમામ ટીમોએ BCCIને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે. અત્યાર સુધી જે અહેવાલો સામે આવ્યા છે તે મુજબ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે કેપ્ટન ઈયોન મોર્ગનને છોડવાનો નિર્ણય લીધો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે. જેમાં સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી અને વેંકટેશ ઐયરના નામ સામેલ છે. એટલે કે કોલકાતાની ટીમ રિટેન્શન દરમિયાન જ 42 કરોડ રૂપિયા વાપરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં જો કોલકાતા ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિક, શુભમન ગિલ જેવા ખેલાડીઓને બહાર કરે છે તો તેના માટે નવો કેપ્ટન શોધવો પણ એક પડકાર બની રહેશે. IPL 2021માં કેપ્ટન ઇઓન મોર્ગનનું પ્રદર્શન શાનદાર રહ્યું ન હતું, કોલકાતાની શરૂઆત પણ શાનદાર રહી ન હતી, જોકે તે કોઈક રીતે ક્વોલિફાયરમાં પહોંચી હતી. આ જ કારણ હતું કે ઈયોન મોર્ગન માટે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રહેવું મુશ્કેલ બની ગયું હતું. 2021 સીઝનમાં, ઇઓન મોર્ગને 17 મેચ રમી અને માત્ર 133 રન બનાવ્યા. મોર્ગન આખી IPLમાં માત્ર 6 સિક્સર ફટકારી શક્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે કોલકાતાની ટીમ સિવાય કેટલીક અન્ય ટીમોને પણ આ સિઝનમાં નવા કેપ્ટનની જરૂર છે.લખનૌ અને અમદાવાદ નવી ટીમો છે, જેને કેપ્ટનની સાથે સાથે આખી ટીમની પણ જરૂર છે.જ્યારે કેએલ રાહુલ પંજાબ કિંગ્સમાંથી બહાર થઈ રહ્યો છે. ત્યારે તેને પણ નવા કેપ્ટનની જરૂર છે. વિરાટ કોહલીએ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડી દીધી છે તેથી બેંગ્લોરને પણ નવા કેપ્ટનની જરૂર છે.

