અત્યાર સુધી આત્મહત્યાના ઘણા કેસ સામે આવ્યા છે. પણ વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈને પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી. સામાન્ય રીતે આત્મહત્યા કરનાર એવું પગલું ભરી બેસે જે અત્યાર સુધી અપેક્ષિત હોય છે પણ ઑક્સિજન સિલિન્ડરથી મોત થાય એવો કેસ સામે આવતા પોલીસ પણ ધ્રુજી ગઈ છે. એક વિચિત્ર કહી શકાય એવી ઘટના સામે આવી છે. ગોત્રી વિસ્તારમાં રહેતા 24 વર્ષના બેંક કર્મચારી આશિષે ઑક્સિજનની બોટલ લાવી મોઢે માસ્ક લગાવી તથા મોઢા પર કોથળી પહેરી લીધી હતી. જે પછી યુવાનું મોત નીપજ્યું હતું. આ કેસ જ્યારે પોલીસ સામે આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. મૂળ હરિયાણા રાજ્યના અને મંકવાસ ભિવાનીના પાડવાન ગામના 24 વર્ષના યુવાન આશિષ અનિલ સંઘવાને આ પગલું ભર્યું છે.
કૃષ્ણદીપ ટેનામેન્ટમાં રહેતો આશિષ છ મહિના પહેલા જ વડોદરા શહેરમાં નોકરી હેતું આવ્યો હતો. SBIબેંકમાં એની જોબ હતી. મકરપુરા GIDCમાં આવેલી SBI બ્રાંચમાં એની ટ્રેનિંગ ચાલી રહી હતી. તા.11 ઑક્ટોબરના રોજ તે ઑક્સિજનનો સિલિન્ડર લઈ આવ્યો. એ પછી મકાનમાલિક પાસે ઑક્સિજન બોટલ ખોલવા માટે પાના પક્કડ માગ્યા. પછી તે મકાનને અંદરથી લોક કરીને સૂઈ ગયો હતો. તે ગત શુક્રવારથી ઓફિસે આવતો ન હતો. તેથી બેંકના કર્મચારીએ મકાન માલિકનો સંપર્ક કરતા હકીકત ચોંકાવનારી હતી. મકાન માલિકે આ અંગે પોતાને ત્યાં ભાડે રહેતા યુવકની તપાસ કરતા બારણું અંદરથી બંધ હોવાથી પાછળની બારીમાંથી જોતા આશિષનો મૃતદેહ ફૂલેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો.
થોડા સમય માટે મકાનમાલિક પણ ડરી ગયો હતો. એ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા ત્રણ લાઈનની નોટ મળી આવી હતી. જે આશિષે લખી હતી. જેમાં તેણે એવું લખ્યું હતું કે, હું મારી જાતે સ્યુસાઈડ કરૂ છું આ ઘટના માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી. આવી સ્પષ્ટતા બાદ તેણે આ પગલું ભરી લીધું હતું. આ કેસમાં સયાજી હોસ્પિટલના ડૉક્ટર ડૉ. બેલીમે જણાવ્યું કે, ઑક્સિજનને કારણે કોઈ વ્યક્તિનું મોત થાય એ શક્યતા ઓછી છે. ઑક્સિજનની બોટલ પૂરી થઈ ગયા બાદ મોઢા પર કોથળી પહેરેલી હોવાને કારણે શ્વાસ રૂંધાયો હોઈ શકે છે. પોલીસે જણાવ્યું હતું કે, તા.10ના રોજ એની UPSCની પરીક્ષા હતી. જે તેણે આપી હતી. તા.11થી તે કોઈના સંપર્કમાં ન હતો.