સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતા જ તમામ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. આ ફોર્મ સાથે તેમણે સોગંદનામું પણ રજૂ કર્યું છે, જેમાં નામ, સરનામું, મતદારયાદી સંબંધિત વિગતો, શિક્ષણ, વ્યવસાય, મિલકત અને ગુનાહિત પૃષ્ઠભૂમિ જેવી માહિતી જાહેર કરવામાં આવી છે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં મતદારોમાં એવી અપેક્ષા વધી છે કે ચૂંટણીમાં યુવા, શિક્ષિત અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો મેદાનમાં ઊતરે. આવા ઉમેદવારો લોકોના કામ વધુ અસરકારક રીતે કરી શકે અને ટેકનોલોજી અંગે જાણકાર હોવાને કારણે અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરમાર્ગે દોરાતા નથી-એવો વિશ્વાસ મતદારો રાખે છે. આ બદલાતી માનસિકતાને ધ્યાનમાં રાખીને હવે રાજકીય પક્ષો પણ આવા યોગ્ય ઉમેદવારોને પ્રાથમિકતા આપી રહ્યા છે. મોરબીમાં પ્રથમ વખત યોજાતી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ત્રણેય મુખ્ય પક્ષોએ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને ગુનાહિત ઇતિહાસની તપાસ કરીને પસંદગી કરી છે.
આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગ્રેજ્યુએટ અથવા તેથી વધુ શિક્ષણ ધરાવતા 11 ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે એક પગલું આગળ વધીને 12 આવા ઉમેદવારોને તક આપી છે. પ્રાથમિક શિક્ષણ સુધીના ઉમેદવારોની સંખ્યા બંને પક્ષોમાં સમાન છે-બન્નેમાં 19 ઉમેદવાર છે. માધ્યમિક શિક્ષણ મેળવનાર ઉમેદવારોમાં ભાજપમાં 18 અને કોંગ્રેસમાં 10 ઉમેદવાર છે. અશિક્ષિત ઉમેદવારોની બાબતમાં પણ બંને પક્ષો સમાન રહ્યા છે, કારણ કે દરેક પક્ષે 1-1 અશિક્ષિત ઉમેદવારને ટિકિટ આપી છે.

