કેવડીયા:ગુજરાત માટે જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની સપાટી 137 મીટર પર પહોંચી છે. આ ચોમાસામાં પ્રથમ વખત ડેમની સપાટી 137 મીટરે પહોંચતા હવે વિશાળ બંધમાં વિજ ઉત્પાદન વધવા લાગ્યુ છે.નર્મદા બંધ 138.68 મીટરે છલકાય છે અને હાલ ડેમમાં 1 લાખ 50 હજાર કયુસેક પાણીની આવક છે.
જે ઉપરવાસમાં ભારે વરસાદથી મધ્યપ્રદેશના ઈન્દીરા સાગર ડેમના પાણી છોડાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક વધી છે. હાલ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ સપ્તાહમાં વધુ વરસાદની શકયતા છે.ખાસ કરીને મધ્યપ્રદેશમાં વધુ સારા વરસાદથી ફરી નર્મદા ડેમની સપાટી વધશે અને હવે ચોમાસાના આ છેલ્લા માસ પુર્વે નર્મદા બંધ છલકાઈ જવાની પુરી શકયતા છે. નર્મદામાંથી પાણી છોડાતા છેક સુરેન્દ્રનગર સુધીના ધોળીધજા ડેમ પણ છલકાઈ જતા તેમાંથી પાણી છોડવાની શકયતા છે અને તેથી આસપાસના અનેક ગામોમાં એલર્ટ અપાયું છે.

