મોરબી જિલ્લાના માળિયા-હળવદ હાઈવે પર મંગળવારે મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. હોટલ પાસે નાસ્તો કરવા ગયેલા 28 વર્ષીય યુવાન પર ચાર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ આર્થિક લેવડદેવડ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવાને 6 શખ્સ સામે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
માહિતી મુજબ, ગેરકાયદેસર પશુ હેરાફેરી અંગે બાતમી મળતાં અનીલ હરીલાલ કંડિયા અને અન્ય ગૌરક્ષકો માળિયા-હળવદ હાઈવે પર ટ્રકની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ નજીક આવેલી એક હોટલ પાસે નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક ઇકો કારમાં ચાર જેટલા શખ્સો ત્યાં ધસી આવ્યા અને શિવમભાઈ રબારીના નામે પૈસાની માંગણી કરી ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ છરી કાઢી અનીલ પર હુમલો કર્યો હતો. હુમલો જોઈ નજીકમાં રહેલા વિવેક ઉર્ફે વિનોદ પટેલ તેને બચાવવા દોડી આવ્યા, પરંતુ હુમલાખોરોએ તેમના પર પણ આડેધડ છરીના ઘા કર્યા અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા.
ગંભીર રીતે ઘાયલ અનીલને 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બીજી તરફ ઈજાગ્રસ્ત વિવેકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિવેક ઉર્ફે વિનોદ પટેલે શિવમ રબારી, રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુસેન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતા માળિયા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળેથી હત્યા સબંધિત પુરાવા મેળવવા તેમજ એફ એસ એલની ટીમની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી. હાલ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાન વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે આ ઘટનામાં આરોપી શિવમ રબારી, રમેશ રબારી. કિશન ચૌહાણ.પૃથ્વીરાજ સિંહ ઝાલા હીરાભાઈ ઉલવા અને ગુલામ હુસેન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.
ઘટનાની જાણ થતા જ માળિયા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતકના મિત્ર અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ફરાર 6 શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપવા માટે અલગ-અલગ ટીમો બનાવી તલાશી કામગીરી શરૂ કરી છે. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે.

