માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામમાં પ્રેમલગ્નની બાબતને લઈને થયેલી જૂની અણબનાવની ઘટનાએ હિંસક વળાંક લીધો હતો.
માહિતી મુજબ, મોટા દહીંસરા ગામે રહેતા ફરિયાદી વિનોદભાઈ ઉર્ફે કાળુ રાણાભાઈ બરારીયાના ભાઈની દીકરીએ આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલના પરિવારના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ મુદ્દે મનદુઃખ રાખીને આરોપી કિશોર લોખીલે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
ગત તા. 26 માર્ચની રાત્રે આરોપી બાઈક પર આવી ગામની બજારમાં આવેલ બાપા સીતારામ પાનના ગલ્લા પાસે પહોંચ્યો હતો અને વિનોદભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ છરી વડે હુમલો કરતા વિનોદભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલામાં તેમના જમણા હાથની પાંસળી પાસે ફ્રેક્ચર થયું હતું તેમજ ફેફસાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત ખભા નીચે ફ્રેક્ચર અને ગાલ પર છરીના ઘા લાગ્યા હતા. ઘાયલ વિનોદભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

