મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેતીને લગતા વિવિધ વિષયો પર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરી કૃષિ ટેકનોલોજી સપ્તાહ ઊજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તારીખ 8 થી 12 સપ્ટેમ્બર, 2025 દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહ ઉજવવામાં આવનાર છે, જે અંતર્ગત આજરોજ તારીખ 08 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રથમ દિવસે આ સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડ એમ.એફ. ભોરણીયા દ્વારા મગફળી પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિક ડો. કે.એન. વડારીયા દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણપૂર્વક રજૂઆત કરી તેના વિવિધ પાસાંઓની છણાવટ કરવામાં આવી હતી. ડો. એ.વી. ખાનપરા દ્વારા ખેડૂતોને કપાસમાં જીવાત નિયંત્રણ અંગે તેમજ વી.વી. ઠાકોર દ્વારા ખેડૂતોને જમીન અને પાણીના નમુના કઇ રીતે લેવા તે અંગે જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના AKARSP સ્ટાફ અને ખેડૂતો ભાઈઓ- બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના દરેક અધિકારી અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.



