ખેડૂતે વિરોધ કર્યો હતો ધમકી આપી કલેકટર અને ખાણ ખનીજ વિભાગને કરી ફરિયાદ
મોરબી જિલ્લામાં સૌથી વધુ હળવદ તાલુકામાં ખેતીની જમીનો વધુ હોવાથી ઉજ્જવળ પ્રકૃતિ સાથેની કુદરતી સંપદા બેમિસાલ હોય પણ જાણે કુદરતી સંપત્તિનું રક્ષણ કરનાર કોઈ ન હોય એમ ખાણ ખનીજ માફિયા પોતે માલામાલ થવા માટે કુદરતી સંપદાને ખતમ કરવા મેદાને પડ્યા હોય એમ પુષ્કળ પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોય પણ આગાઉ નદી પાસે તેમજ પડતર જગ્યાએ ખનનન થતું પણ હવે કોઈની માલિકીની જમીન પર ખનીજ માફિયાઓએ ડોળો જમાવી ગેરકાયદે માટી ચોરી કરતા આખરે મામલો કલેક્ટર સુધી પહોંચતા ખાણ ખનીજ વિભાગને તપાસ કરવાનો રેલો આવ્યો છે.
હળવદના ચરાવડા ગામે રહેતા સોલંકી અમૃતભાઈ દેવજીભાઈ નામના ખેડૂતે અધિક કલેક્ટરને રજુઆત કરી હતી કે, તેમના ચરાડવા ગામે સિમ વિસ્તારમાં સર્વે નંબર 2105 પૈકી 2 તથા સર્વે નબર 13 જેટલી તેમના વડીલો પાર્જીત જમીન આવેલી હોય તેઓ વર્ષોથી ખેતી કરી આજીવિકા મેળવે છે. પણ કેટલાક જમીન માફિયાઓને આ સોના લગડી જેવી જમીન ઉપર ડોળો જમાવી ખનિજચોરીની મેલી મુરાદ પુરી કરવા કડિયાણા ગામના અણદાભાઈ સહિતના તેમના સાગરીતો ટ્રેક્ટરો, જેસીબી જેવા વાહનો સાથે આ ખેડૂત સાથે દાદાગીરી કરી તેમની જમીન ઉપર ગેરકાયદે ખોદકામ કરી અનેકગણી માટીની ખુલ્લેઆમ ચોરી કરે છે. આ બાબતે પ્રતિકાર કરતા આ શખ્સો તું વચમાં આવતો નહિ અને તારાથી થાય તે કરી લેજે અને તને ઢોર માર મારીશ તેવી ધાક ધમકી આપી ડરાવે ધમકાવે છે. આથી ખેડૂતે પોતાની ખેતીની જમીનને માથાભારે માણસ ખનિજચોરીનું સ્થળ બનાવી દેતા આ રીતે ખોદકામથી માટી નીકળી જશે તો જમીનની ફળદ્રુપતા ઘટશે અને ખેડૂતની રોજીરોટી છીનવાઈ જશે તેમ રજુઆતમાં જણાવ્યું છે.
અમને ફરિયાદ મળી હતી અમે તપાસ માટે ટીમ મોકલી છે
ચરાડવા ગામમાંથી ખેડૂતના ખેતરમાં તેની મરજી વિરુદ્ધ માટી ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી અમે તપાસ માટે ટીમ મોકલી છે તપાસ જે સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી જગદીશ વાઢેરે જણાવ્યું હતું