સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આપઘાત કરનારમાં પતિ પત્ની તેના માતા પિતા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે . આ ઘટના સુરતના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા દલિત સોલંકી પરિવારની હોવાનું અને મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી હોવાનું સામે આવ્યું છે. ઘટના સામે આવ્યા બાદ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા જોકે આપઘાતનું પ્રાથમિક કારણ રૂપિયાની લેવડ દેવળ હોવાનું સામે આવ્યું છે જોકે સાચી માહિતી સંપૂર્ણ તપાસ બાદ જ સામે આવી શકશે .
સુરતમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ પરિવારના 7 લોકોએ આપઘાત કરીને જીવનનો અંત આણ્યો છે. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના બ્લોક 3માં ફ્લેટમાં રહેતા દલિત સોલંકી પરિવારના 7 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શુક્રવારે મધ્યરાત્રિએ પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી અને છ લોકોએ ઝેર ગળી લીધું હતું, જ્યારે એકે ફાંસી લગાવી હતી. મનીષે તેના માતા-પિતા,પત્ની અને ત્રણ બાળકોને ઝેર પીવડાવીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરિવારે આ પગલું કેમ ભર્યું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના પૈસાની લેવડદેવડમાં બની હતી.
પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે.જેમાં પૈસાની લેવડ-દેવડનો મામલો સામે આવ્યો છે, પરંતુ તેમાં કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.