ટંકારા તાલુકા પંચાયતમાં આજે કારોબારી સમિતિની રચના માટે સામાન્ય સભા મળી હતી. જ્યાં ભાજપ પક્ષે અલ્પેશ દલસાણીયાનું નામ મુક્યું હતું. જોકે તાલુકા પંચાયતમાં ભાજપનું જ એક જૂથ આ નામની વિરોધમાં હોય અને બળવાખોર જૂથના સમર્થનમાં 14માંથી 11 મતો પડતા ટંકારા તાલુકા પંચાયતમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ટંકારા તાલુકા પંચાયત કારોબારી સમિતિ માટે ભાજપે અલ્પેશ દલસાણીયાનું નામ મુકતા ભાજપના એક જુથે વિરોધ કર્યો હતો અને 14 સભ્યો પૈકી મોટા ભાગના સભ્યોએ પુષ્પાબેનનું નામ મૂકી સમિતિ બનાવી હતી. જે સમિતિમાં કોંગ્રેસ અને અપક્ષના સભ્યોએ પણ ટેકો આપ્યો હતો. સભામાં તાલુકા પંચાયતના 16માંથી 14 સભ્યો હાજર રહ્યા હતા. પુષ્પાબેન કામરીયાને કારોબારી અધ્યક્ષ બનાવવા માટે 14માંથી 11 મતો મળ્યા હતા. જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખે મતદાન કરવાને બદલે તટસ્થ વલણ અપનાવ્યું હતું. તો કારોબારી સમિતિના દાવેદાર અલ્પેશ દલસાણીયાએ પણ મત આપ્યો ના હતો.
ટંકારા ભાજપમાં બધું બરોબર નથી તેવો ગણગણાટ શરુ થઇ ગયો છે. ભાજપનું એક મોટું જૂથ પક્ષના નિર્ણયની વિરોધમાં જોવા મળ્યું હતું. માત્ર એટલું જ નહિં પોતાનો ઉમેદવાર ઉભો રાખી બહુમતીથી વિજેતા પણ બનાવી દેતા હવે ભાજપ પક્ષ બળવાખોર જૂથને સમજાવી શકશે કે પછી ભાજપનો જુથવાદ વધુ ઉગ્રરૂપ ધારણ કરશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ટંકારા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે 9 સભ્યો, કોંગ્રેસ પાસે 6 સભ્ય અને એક અપક્ષ સભ્ય મળીને કુલ 16 સભ્યોનું સંખ્યાબળ છે. ભાજપનો જુથવાદ ચરમસીમાએ જોવા મળ્યો છે અને પક્ષના સભ્યોએ બગાવત કરી છે. ત્યારે ટંકારાના ધારાસભ્ય મોરબીમાં આયોજિત રામ કથાના કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
આ વિવાદ મામલે તાલુકા ભાજપ સંગઠન કોઈને પૂછતું નથી જેથી સમિતિ રચના કરી છે. તેમજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અપક્ષને બનાવ્યા છે. ત્યારે પણ વાંધો લીધો ના હતો. સમિતિ રચના કરી જેમાં ઉપપ્રમુખને સભ્ય બનાવ્યા છે જેથી ઉપપ્રમુખ તાલુકા કારોબારીમાં સભ્ય બને તો આપોઆપ ચેરમેન બની જાય તેની સામે વાંધો હતો. આજે હાજર 14માંથી 11 સભ્યોએ ટેકો આપ્યો હતો. તેમ પુષ્પાબેન કામરીયાએ જણાવ્યું હતું


