દિવાળી પર્વ પૂર્ણ થતાંની સાથે હવે રાજકીય પક્ષો વિધાનસભા ચૂંટણીની તૈયારી તેજ થઈ ગઈ છે. રાજકીય પક્ષ દ્વારા વિવિધ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
. જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરવા પુરજોશમાં તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે.જેના ભાગરૂપે 28મીએ મોરબી જિલ્લાની 3 વિધાસભા બેઠકમાં સેન્સ લેવામાં આવનાર છે. આ માટે નિરીક્ષકની ટિમ પણ જાહેર કરી દેવામાં આવી છે.
નવેમ્બર મહિનાની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ રાજકીય પક્ષો જીતવા માટેની તૈયારીઓને તેજ બનાવી રહ્યા છે. ભાજપ દ્વારા પણ આ વખતે કોઈ કચાશ ન રહે એ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા 65 મોરબી-માળિયા, 66 ટંકારા-પડધરી અને 67 વાંકાનેર-કુવાડવા આ ત્રણ બેઠકો માટે આગામી 28મીએ મોરબીની એલિટ સ્કૂલ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
મોરબી જિલ્લાની બેઠકોની સેન્સ પ્રક્રિયા માટે ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકોની ટીમ પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં મંત્રી રાઘવજીભાઈ મકવાણા, ગાંધીનગર જિલ્લા પ્રભારી હર્ષદભાઈ પટેલ અને પૂર્વ પ્રદેશ મંત્રી અલકાબેન મોદીનો સમાવેશ થાય છે.


