આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારના રોજ પોતાના 3 દિવસીય રાજકીય પ્રવાસ અંતર્ગત ગુજરાત આવ્યા છે.ત્યારે ગુજરાત પોલીસે રવિવારના રોજ આમ આદમી પાર્ટીના અમદાવાદ ખાતેના કાર્યાલય પર દરોડો પાડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ રવિવારે સાંજે જ અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને પાર્ટીના કાર્યાલય પર દરોડો પડ્યો હોવાની જાણકારી આપી છે.
ઈમાનદાર છીએ: અરવિંદ કેજરીવાલે પણ ઈસુદાન ગઢવીની ટ્વિટને રીટ્વિટ કરતા લખ્યું હતું કે, ગુજરાતની જનતાને મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ખરાબ રીતે બોખલાઈ ગયું છે. ગુજરાતમાં આપના પક્ષમાં આંધી વ્યાપી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડો પાડવાનું શરૂ કરી દીધું. દિલ્હીમાં કશું ન મળ્યું, ગુજરાતમાં પણ કશું નહીં મળે. અમે કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત લોકો છીએ.
પ્રચાર શરૂ: 13 સપ્ટેમ્બરના રોજ સવારે તેઓ નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. બપોરે 12:00 કલાકે અમદાવાદ ખાતે વધુ એક ગેરંટીની ઘોષણા કરશે. ગેરંટીની ઘોષણા બાદ તેઓ સાંજે 4:00 કલાકે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ તેઓ સાંજે દિલ્હી જવા માટે રવાના થશે.


