રાજકોટ એરપોર્ટ પર રવિવારે ધમાલ મચી ગઇ હતી. એરપોર્ટ ઓથોરિટીના નિર્ણયથી મુસાફરો રઝળી પડ્યા હતા. બપોરે એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા ગોવાથી આવેલી ફ્લાઇટ પણ રન – વે ઉપર જ અટકી પડી હતી, દોઢ કલાક સુધી બે ફ્લાઈટમાં પેસેન્જર્સને બેસી રહેવું પડયું હતું.
આ દરમિયાન એરપોર્ટ ઓથોરિટીએ જાહેરાત કરી હતી કે, રાજકોટ એરપોર્ટથી બપોર બાદ દિલ્હી-મુંબઈ જતી એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઈન્ડિગોની આ ત્રણ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવે છે. રન-વે પર અગાઉથી જ બે ફ્લાઇટ પડી હોવાથી એરપોર્ટ ઓથોરિટીએ આ નિર્ણય લીધો હતો. જેના કારણે આ ત્રણ ફ્લાઈટમાં જવા વાળા અને એરપોર્ટ આવી પહોંચેલા મુસફરોમાં રોષ વ્યાપી ગયો હતો. ઘણા પેસેન્જર્સને દિલ્હી-મુંબઈથી અન્ય ફ્લાઇટ પકડી દેશના જુદા જુદા ભાગોમાં જવાનું હતું. તો કેટલાક પેસેન્જર્સને વિદેશ જવાનું હતું.

જોકે, આવી અવ્યવસ્થા સર્જાયા બાદ અને ત્રણ ફ્લાઈટ કેન્સલ કર્યાના નિર્ણય પછી જે દિલ્હીની ફ્લાઈટમાં યાંત્રિક ખામી હતી તે યાંત્રિક ખામી દૂર થતા આ ફ્લાઇટ દિલ્હી રવાના થઈ ગઈ હતી. જોકે અન્ય ત્રણ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવાય ગયો હોવાથી તે ફ્લાઇટના મુસાફરો રઝળી પડ્યા હતા.

