Tuesday, October 28, 2025
HomeGujaratકમલમનો ઘેરાવ કરવા ગયેલી AAPની મહિલાઓ ઉપર પોલીસનો લાઠીચાર્જ 

કમલમનો ઘેરાવ કરવા ગયેલી AAPની મહિલાઓ ઉપર પોલીસનો લાઠીચાર્જ 

ગાંધીનગર, સોમવાર

હેડ ક્લાર્ક પેપરલીક કાંડ રાજ્યભરમાં દેખાવો થઈ રહ્યા છે ત્યારે આજે સોમવારે બપોરે બે વાગ્યાના સુમારે આમ આદમી પાર્ટીના કાર્યકરો કમલમનો ઘેરાવ કરવા ગયા હતા. દરમિયાન ભાજપ અને આપ પાર્ટીના કાર્યકરો વચ્ચે મામલો બિચક્યો હતો અને પોલીસે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જમાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોને પણ ઈજા થઈ હતી અને બે મહિલાઓ રીતસરની બેહોશ થઈને ઢળી પડી હતી. કમલમમાં બહાદુર પોલીસે મહિલા કાર્યકરોને પણ છોડી નહોતી અને દોડાવી દોડાવીને ડંડા માર્યા હતા. પેપર લીક કાંડમાં હજુ મોટા મગરમચ્છ પકડાયા નથી ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો રજૂઆત માટે પહોંચ્યા હતા ત્યારે હિંસક લાઠીચાર્જ થયો હતો.

ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગુંડાગીરી કરી હતી અને મહિલા કાર્યકરોને પણ બિભત્સ શબ્દો પ્રયોગ કર્યા હતા. પોલીસે ગુંડાગીરી કરીને મીડિયા કર્મીઓના કેમેરા પણ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. કમલમમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે આપના કાર્યકરોને દોડાવી દોડાવીને માર્યા હતા. આ ઘટનાને લઈ કમલમમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 

ગૌણ સેવાના પેપર લીક કાંડના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને જેના સંદર્ભે આજે આમ આદમી પાર્ટી દ્વારા કમલમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જાે કે, આપના કાર્યકરો કમલમમાં પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. દરમિયાન પોલીસ આવી જતાં મામલો ગરમાયો હતો અને પોલીસે આવતાની સાથે બળનો પ્રયોગ કર્યો હતો અને આપના કાર્યકરોને દોડાવી દોડાવીને દંડા માર્યા હતા. આપના ઈસુદાન ગઢવીએ કહ્યું કે, દરેક વખતે પેપર ફૂટે છે, પણ કોઈને સજા થતી નથી. નાના માછલા પકડાય છે પણ અસિત વોરા જેવા મોટા માછલા બિન્દાસ્ત ફરે છે. પ્રવિણ રામે કહ્યું કે, ભાજપના ગુંડા અને પોલીસે અમાનુષી અત્યાચાર કર્યો છે અને અમારી મહિલા કાર્યકરો ઉપર પણ લાઠીઓ વરસાવી છે અને જેના કારણે એક મહિલા બેહોશ થઈને ઢળી પડી હતી.

આ સિવાય અમારા કાર્યકરોને પણ પોલીસે ખૂબ માર માર્યો છે. આપના વનરાજસિંહ ચાવડાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી શાંતિપૂર્ણ રજૂઆત કરવા ગઈ હતી અને અમે ત્યાં ગયા ત્યારે ભાજપ દ્વારા હર હર મોદીના નારા લગાવાતા હતા અને તેની સામે અમે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. બાદમાં ભાજપના કાર્યકરોએ જ હિંસક પ્રદર્શન કર્યું હતું અને બાદમાં મામલો બિચક્યો હતો. ભાજપના ઋત્વિક પટેલે કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા કમલમનો ઘેરાવ કરવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી અને અમારી મહિલા કાર્યકરોને પણ બિભત્સ અપશબ્દો બોલવામાં આવ્યા છે અને મહિલાઓને ઉઝરડા પણ ભર્યા છે.

ભાજપના યજ્ઞેશ દવેએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ અસામાજિક તત્વો જેવું કામ કર્યું છે અને અમારા ગેટનો દરવાજાે પણ તોડી નાખ્યો છે. જાે કે, આમ આદમી પાર્ટીએ આ આક્ષેપોને નકાર્યા હતા અને સીસીટીવી ફૂટેજ સાચું બોલશે તેવો બચાવ કર્યો હતો. કમલમમાં આમ આદમી પાર્ટી ઉપર બહાદુર પોલીસ બેરહેમીથી તૂટી પડતાં નાસભાગ મચી ગઈ હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page