ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી બોલર રવિચંદ્રન અશ્વિન સૌથી સફળ બોલરો પૈકી એક છે. અશ્વિને પોતાની ધારદાર બોલિંગથી સાબિત કરી દીધું છે કે હરીફ ટીમને માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ હંફાવી શકે છે. અશ્વિને અત્યાર સુધી 81 ટેસ્ટ મેચમાં કુલ 426 વિકેટ લીધી છે. કાનપુર ટેસ્ટ દરમિયાન તેણે ભારતીય ટીમના જ પૂર્વ બોલર હરભજન સિંહનો 417 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો. અનિલ કુંબલે અને કપિલ દેવ પછી આર અશ્વિન સૌથી સફળ ભારતીય બોલર છે. આર અશ્વિનને ભવિષ્યમાં ઘણી ટેસ્ટ મેચ રમવાની ઈચ્છા છે.

આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે મોટું નિવેદન આપ્યું છે. તેઓ એવું માને છે કે, અશ્વિન કુલ 133 મેચમાં 800 વિકેટ લેવાનો મુરલીધરનનો રેકોર્ડ તોડી શકે છે. એક સ્પોર્ટ્સ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, જો અશ્વિન લાંબા સમય સુધી ફિટ રહેશે તો તે મુરલીધરનના રેકોર્ડને પડકારી શકે છે. મુથૈયા મુરલીધરને પોતે કહ્યું છે કે, જો કોઈ તેનો રેકોર્ડ તોડી શકે છે તો તે રવિચંદ્રન અશ્વિન છે. હવે અશ્વિન જે રીતે બોલિંગ કરી રહ્યો છે, તે તેની કારકિર્દીનો બીજો તબક્કો છે. ટેસ્ટ ક્રિકેટ રમતી વખતે તેના ઓફ સ્પિન પર સૌથી વધારે લોકોનું ધ્યાન રહ્યું છે. આવી સ્થિતિમાં, મને લાગે છે કે તે આ પડકારને પણ પોતાની બોલિંગથી પાર કરી શકે છે. અશ્વિને નવમી વખત પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ જીત્યો છે. પ્લેયર ઓફ ધ સીરિઝમાં વીરેન્દ્ર સેહવાગ, સચીન તેંડુલકર જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

