રાજ્ય સરકારનો ST વિભાગ દિવાળીના તહેવારના દિવસોમાં વધારે બસો દોડાવવાનું આયોજન કરી રહ્યો છે પરંતુ આ તહેવારની તૈયારી વચ્ચે જ ST વર્કશોપ ફેડરેશન મજૂર મહાજને પડતર માગણીને લઇને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. મોંઘવારી ભથ્થુ, સાતમા પગાર પંચનો લાભ અને વારસદારોને પેકેજ આપવાની માગના મુદ્દે માસ CL પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. ST સંગઠનોએ સરકાર સામે ચિમકી ઉચ્ચારી છે કે, તેમની માગણીઓ વહેલામાં વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો તા. 20 ઓક્ટોબરના રોજ મધરાતથી તમામ સરકારી બસોના પૈડા થંભી જશે.
40,000 કર્મચારીઓ હડતાળમાં જોડાવાના કારણે 8000 બસ ઉભી રહી જશે. મહત્ત્વની વાત છે કે ગત મહિને પણ ST વિભાગના કર્મચારીઓએ ફિક્સ પગાર અને નાઈટ એલાઉન્સ સહિતની કેટલીક માગણીઓ મુદ્દે સરકાર સામે પ્રદર્શન કર્યું હતું. 2018 બાદ જે કંડકટરો અને ડ્રાયવરોની ભરતી થઈ છે. તેમને સાતમા પગાર પંચ અનુસાર ગ્રેડ પેની ચુકવણી કરવામાં આવે. ST વિભાગમાં કામ કરતા જે પણ કર્મચારીઓનુ 2011 પહેલા નિધન થયું હોય તેમના 900 કરતાં વધુ વારસદારોને નોકરી આપવામાં આવે અને તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. જે મહિલા કર્મચારીઓ ST વિભાગમાં ફરજ બજાવી રહી છે તેમના માટે બસ સ્ટેશન પર એક અલગથી રેસ્ટરૂમ તૈયાર કરવામાં આવે.